રણમાં ફસાયેલી ચાર મહિલાઓ, બાળકો સહીત 10 લોકોના પરિવારને બચાવાયો
– રણમાં મીઠું પકવાતા અગરિયા યુવાનોએ ટ્રેક્ટર લઈને રણમાં 10 કિમી જઈને આ પરિવારને હેમખેમ બચાવાયો
રણમાં વાછડાદાદા રણમાં દર્શન કરવા ગાડી લઈને ગયેલા ફસાયેલી ચાર મહિલાઓ, બાળકો સહીત 10 લોકોના પરિવારને બચાવી લેવામાં આવ્યો હતો. રણમાં મીઠું પકવાતા અગરિયા યુવાનોએ ટ્રેક્ટર લઈને રણમાં 10 કિમી જઈને આ પરિવારને હેમખેમ બચાવાયો હતો.
થોડા સમય અગાઉ રણમાં મીઠું પકવાતા અગરિયા યુવાનોએ બાઈકમા સવાર પતિ-પત્નિ અને એક માસુમ બાળાને હેમખેમ બચાવી લીધા હતા. આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં સોમવારે ચાર મહિલાઓ અને બાળકો સહિતનો એક પરિવાર મોડી સાંજે વાછડાદાદા રણમાં માનતા પુરી કરવા રણમાં 10 કિમી દૂર ગયા ત્યાં વરસાદ ચાલુ થઇ જતા અને બીજીબાજુ એમની ગાડીની ક્લચપ્લેટ બગડી જતા આ પરિવારનો જીવ પડીકે બંધાયો હતો. અને આ પરિવારને વેરાન રણમાં મોતના સાક્ષાત દર્શન થયા હતા.
બાદમાં આ પરિવારે ગુગલ પર જઈને વાછડાદાદા રણના દાદાની જગ્યાના પ્રમુખ લક્ષમણભાઇને ફોન કરતા એમણે ચિંતા ના કરવાનું જણાવી મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં નિમકનગરના કુડેચા અશ્વિનભાઈ ચંદુભાઈ અને છનુરા મનીષભાઈ તથા કુડેચા સિંધાભાઈ અને સુખદેવ ઝેઝરીયાએ મળીને ટ્રેક્ટર સાથે રણમાં તાત્કાલિક પહોંચી જઈને આ પરિવારને બચાવી લઈ હેમખેમ બહાર કાઢ્યા હતા. ત્યારે આ પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.