વડોદરામાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટક પત્ર! વેપારીએ તંત્ર, નેતાઓ અને અધિકારીઓ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ
વડોદરામાંથી એક મોટો વિવાદ સામે આવ્યો છે, જ્યાં શહેરના એક વેપારીએ મ્યુનિસિપલ તંત્ર, સ્થાનિક આગેવાનો અને કેટલાક અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો સાથે વિસ્ફોટક પત્ર લખ્યો છે. આ પત્ર હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ફરિયાદી ચિરાગ જાનીએ પોતાના પત્રમાં આરોપ મૂક્યો છે કે વર્ષોથી તેઓને ગેરકાયદેસર બાંધકામ, દબાણ, તંત્રની નિષ્ક્રિયતા અને રાજકીય પ્રભાવના કારણે હેરાન કરવામાં આવી રહ્યા છે. પત્રમાં કેટલાક સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો અને અધિકારીઓના નામો સાથે રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ, ગોત્રી ગામ તળાવ સામે આવેલી ઉમા પ્રોવિઝન સ્ટોરના સંચાલકો મિતેશ ઠક્કર અને હિતલ ઠક્કર દ્વારા ગેરકાયદેસર રીતે લોકોનો દાખલ મૂકી અંદાજે 200 ફૂટ જેટલી લંબાઈ પહોળાઈમાં રેતી, કપચી અને ઈંટો મૂકી બિનઅધિકૃત દબાણ કરવામાં આવ્યું છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે જમીનથી ઘર સુધીના આશરે 4 ફૂટના દાખલ ઉપર પણ જાહેર રોડ પર દબાણ કરવામાં આવ્યું છે. આ દબાણના કારણે દુકાન તેમજ નવું મકાન બાંધવામાં આવ્યું હોવાનું અને તેની ગટર લાઈન પણ જાહેર રોડ ઉપર રાતોરાત ખોદકામ કરી નાખવામાં આવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદીનો દાવો છે કે બારોટ પંચની બે દુકાનો પણ પચાવી પાડવામાં આવી છે અને તેમાં કોઈપણ પ્રકારની સત્તાવાર પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું છે. રજા ચિઠ્ઠી, નકશો, એનઓસી અથવા પ્લાન મંજૂર ન હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે.
ફરિયાદીએ ચેતવણી આપી છે કે જો આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં નહીં આવે તો ગાંધીગીરી માર્ગે આંદોલન કરવામાં આવશે.
આ સમગ્ર મામલે હવે જોવાનું રહેશે કે વડોદરા મ્યુનિસિપલ તંત્ર અને સંકળાયેલા અધિકારીઓ શું કાર્યવાહી કરે છે.
